ભારતે એરસ્ટ્રાઈક કરતાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યું, LoC પર ફાયરિંગમાં ત્રણ ભારતીયોના નિધન

પહલગામ આતંકવાદી હુમલા બાદથી જ ભારતીય સેના આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેની રાહ જોવાઈ રહી હતી

પહલગામ આતંકવાદી હુમલા બાદથી જ ભારતીય સેના આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેની રાહ જોવાઈ રહી હતી. એવામાં સેનાના બહાદુર જવાનોએ ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડ્યું છે અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાને બેબાકળા થઈ LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ પર ગોળીબારમાં ભારતના ત્રણ નાગરિકોના નિધન થયાની ભારતીય સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. સરહદ વિસ્તારમાં ઘણા નાગરિકો બંકરમાં આશરો લઈ રહ્યા છે. 

ઓપરેશન સિંદૂર

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.