જુનાગઢમાં તંત્રએ ગેરકાયદેસર બાંધકામ સામે લાલ આંખ કરી, મેગા ડિમોલેશન શરૂ

પ્રવાસીઓની વ્યવસ્થા ખાતર અને ગેરકાયદેસર દબાણો દૂર થાય તેવા આશય સાથે આજે સવારથી જ તંત્રે તમામ વિભાગને સાથે રાખે મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે

અમદાવાદ (Ahmedabad) બાદ જુનાગઢમાં પણ તંત્રે ગેરકાયદેસર બાંધકામ સામે લાલ આંખ કરી છે અને દબાણ પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું છે. જુનાગઢનાં ઉપરકોટ કિલ્લા (Uparkot Fort) પાસે આવેલ ધારાગઢ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરી 16 હજાર ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપરકોટનું (Uparkot Fort) રિનોવેશન થયા બાદ કિલ્લો ધમધમતો થયો પરંતુ, કિલ્લામાં એક વાહન પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ જ નથી, જેના કારણે લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કિલ્લાની પાછળની બાજું ધારાગઢ વિસ્તારમાં (Dharagadh) 16 હજાર ચોરસ મીટરથી વધુ જગ્યા પર વર્ષોથી અનઅધિકૃત બાંધકામ કરી લોકો પાક્કા રહેણાંક મકાનો બનાવી રહેવા લાગ્યા હતા. પ્રવાસીઓની વ્યવસ્થા ખાતર અને ગેરકાયદેસર દબાણો દૂર થાય તેવા આશય સાથે આજે સવારથી જ તંત્રે તમામ વિભાગને સાથે રાખે મેગા ડિમોલિશનની (Junagadh Mega Demolition) કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં ગેરકાયદે 59 મકાનો દૂર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો પણ વસવાટ કરતા હોવાથી પોલીસ વિભાગ (Junagadh Police) દ્વારા પણ આ અંગેની કલેકટરને જાણ કરવામાં આવી હતી, જેથી અસામાજિક તત્વોનાં ગેરકાયદેસર બાંધકામો પર પણ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આજે સવારથી શરૂ થયેલી મેગા ડિમોલિશનની કામગીરી સમયે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દબાણ દૂર કરવા માટેની કામગીરી દરમિયાન કલેક્ટર, એસપી સહિતનાં અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત હતો. માહિતી અનુસાર, અંદાજે 50 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી જમીન પરથી દબાણો દૂર કરી ખાલી કરાઈ છે.