અધિકારીઓની રહેમનજર હેઠળ ગુજરાતનાં અનેક જિલ્લામાં બેફામ ગેરકાયદે રેતીખનન, સરકાર મૌન

Gujarat Sand Mining: ગુજરાત રાજયના અનેક જિલ્લાઓમાં નદીના પટમાંથી ગેરકાયદે રેતી, ખાણ-ખનીજ ખનનની પ્રવૃત્તિ કરનાર સરકાર અને તેમના અધિકારીઓની રહેમ નજર હેઠળ પૂરજોશમાં ફૂલીફાલી રહ્યા છે. આ રેત માફિયાઓ અને ખનીજ માફિયાઓ સરકાર કે અધિકારીઓને પણ ગાંઠતા નથી અને ખુલ્લેઆમ રેતીનું ખનન કરી તેના ગેરકાયદે વેચાણનો કાળો કારોબાર ધમધોકાર ચલાવી રહ્યા છે. ગેરકાયદે ખનન પ્રવૃત્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવા જતા સરકારી અધિકારીઓ અને ભૂસ્તરશાસ્ત્રીની ટીમ પર હુમલા, ધાકધમકી અને તેમને કામગીરી કરતાં અટકાવવાના રેત અને ખનન માફિયાઓના દાદાગીરીભર્યા પ્રયાસો પણ બેફામ બન્યા છે. એવામાં સરકાર અને સંબંધિત સત્તાધીશો શા માટે આવા ખનન માફિયાઓ પર લગામ કસી શકતા નથી, તેને લઈ હવે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.
શક્તિસિંહ ગોહિલે તાત્કાલિક કાર્યવાહીની માંગ
તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ શકિતસિંહ ગોહિલે બોટાદના રાણપુર તાલુકાના નાગનેશ ગામે સુખ-ભાદર નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન કૌભાંડને લઈ રાજયના ખાણ-ખનીજ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માને પત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનેક ગામડાઓની જીવાદોરી સમાન આ સુખ-ભાદર નદી ટૂંક સમયમાં અદ્રશ્ય થઈ જશે.
સરકારી અધિકારીઓની મદદ અને હપ્તાખોરી
શક્તિસિંહે પત્રમાં જણાવ્યું છે કે, ‘રેતી માફિયાઓ સુખ-ભાદર નદીમાં પંદર-પંદર ફૂટ ઊંડા ખાડા ખોદી નદીની જમીનમાંથી રેતી, નદી કિનારાની માટી, પથ્થરો કાઢી ખુલ્લેઆમ બજારોમાં વેચી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડ ખાણ ખનીજ સત્તાધીશો, મહેસૂલ સત્તાધીશો અને પોલીસ અધિકારીઓની મિલીભગત અને હપ્તાખોરીથી ચાલી રહ્યું છે.’
બોટાદમાં દરોડા
હજુ બે અઠવાડિયા પહેલા જ બોટાદ જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરા અને તેમની ટીમ દ્વારા સુખ-ભાદર નદીમાં ચાલતા રેતી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિ પર દરોડા પાડ્યા હતા. જેમાં નદીના પટમાંથી ચાર ટ્રેકટર, એક લોડર, રેતી ચણવાના ચારણા સહિત કુલ 52.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રેતી માફિયાઓની દાદાગીરી
રવિવારે આણંદના આંકલાવના માંડવપુર ખાતે પ્રાંત અધિકારીઓએ દરોડા પાડી ગેરકાયદે રેતી ખનનનું કૌભાંડ ઝડપી પાડયું હતું અને છ ડમ્પર, હિટાચી અને જેસીબી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એવામાં, ગત મહિને જ ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનન પર કાર્યવાહી કરવા ગયેલી ગાંધીનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ અને તેના અધિકારીઓને રેતી માફિયાઓએ અટકાવ્યા હતા અને રીતસરની દાદાગીરી કરી હતી. આખરે પોલીસની મદદ લઈ ત્રણ હિટાચી અને હ્યુન્ડાઈ કંપનીના મશીનો જપ્ત કરાયા હતા.
સુરેન્દ્રનગરના થાનગઢના વીજળીયા ગામે પણ સફેદ માટીના ખનનને લઈ અધિકારીઓ ત્રાટકયા હતા અને બે હિટાચી, મશીન, બે ડમ્પર, અન્ય સાધનો મળી અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ જ પ્રકારે જામનગર અને છોટા ઉદેપુરમાં પણ ગેરકાયદે રેતી ખનનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આમ, રાજયભરમાં રેતી અને ખાણ-ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિ રોકટોક વિના અને બેફામ રીતે ચાલી રહી છે. પરંતુ, રાજય સરકાર કે તેના અધિકારીઓને ન તો નદી, જળ સ્ત્રોતો કે પર્યાવરણના રક્ષણ કે જાળવણીની ચિંતા છે કે, ન તો આ કુદરતી ખજાનાને બચાવવાની પરવાહ. સરકારની ગંભીર નિષ્ક્રિયતા અને અધિકારીઓની રહેમ નજર અને હપ્તાખોરી વચ્ચે ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ ફૂલફાલી છે તે ઉપરોકત કિસ્સાઓ પરથી સ્પષ્ટ થાય છે