ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ

Covid 19 New Cases: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ પ્રસર્યો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર થયો છે. જેમાં ગુજરાતના પડોશી રાજ્ય  મહારાષ્ટ્રમાં જ 209 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 83 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર કોરોનાના કેસ અને સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે. 

આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1009 થયો છે. જેમાં 752 કેસોની ખાતરી થઈ છે. છેલ્લા બે સપ્તાહમાં આ આંકડો 257 હતો. પરંતુ સોમવારે તેમાં અચાનક વૃદ્ધિ થઈ છે. કોરોના વાયરસના આ નવા વેરિયન્ટના કારણે અત્યારસુધીમાં 7 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

રાજ્યવાર કોરોના કેસ

કોવિડ-19ના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. અહીં સૌથી વધુ 430 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 એક્ટિવ કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં 9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં4, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢ-ગોવા-તેલંગાણામાં 1-1-1 એક્ટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1009 થઈ છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયા નથી.

આરોગ્ય મંત્રાલયની પરિસ્થિતિ પર ચાંપતી નજર

આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં  આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મોનિટરિંગ થઈ રહ્યું છે.

દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. હવે દિલ્હીમાં કોરોનાના 104 એક્ટિવ કેસ છે. તાજેતરમાં, દિલ્હીના આરોગ્ય મંત્રી ડૉ. પંકજ સિંહે વીડિયો મારફત લોકોને ભયભીત ન થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે કોઈએ ગભરાવાની જરૂર છે. આપણી તમામ હોસ્પિટલો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત દરેક વસ્તુ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ સાથે, દિલ્હીમાં કોરોના અંગે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.’