ખરાબ હવામાનની આગાહી અને શંકાસ્પદ બોટ દેખાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા આદેશ

Saurashtra Fisherman Advice Not to Venture into Sea: ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાખેડૂઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા તમામ માછીમારોને રવિવાર (17 મે)થી આવનારી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આ છે. આ સિવાય જે દરિયાખેડૂઓ નીકળી ગયા છે, તેમને પણ તાત્કાલિક ધોરણે પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે. 

નવા આદેશ સુધી દરિયો ન ખેડવા સૂચના

રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે કે, ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાનો હોવાથી દરિયામા માછીમારી કરવા ગયેલી તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેમજ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોએ દરિયો ખેડવા ન જવું. આ સિવાય માછીમારી બોટ્સને ટોકન ઇસ્યુ ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ અંગે માછીમારોએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની રહેશે. આ સિવાય માછીમારોના જાન-માલને નુકસાન ન પહોંચે તે માટે તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલા લેવા જિલ્લા અધિકારીઓને ચુસ્ત અમલવારીની સૂચના આપવામાં આવી છે. આ સિવાય બોટ માલિકોને પણ બોટને સુરક્ષિત જગ્યાએ લગાવવા માટે જાણકારી આપવામાં આવી છે. 

દરિયામાંથી મળી અજાણી બોટ

નોંધનીય છે કે, ગુજરાતના દરિયામાંથી એક શંકાસ્પદ અજાણી બોટ મળવાના કારણે સુરક્ષાને ધ્યાને લઈને આ કામગીરી હાથ ધરવામાં આવી હોય એવી પણ અટકળો ચાલી રહી છે. બોટ એસો. જાફરાબાદના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, અમને જાફરાબાદ દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ દેખાઈ હતી. આ બોટ ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને તેમાં માછલી પકડવાની ઝાળી પણ નહતી, તેમજ કોઈ રંગ પણ કરવામાં નહતો આવ્યો. જેથી અમને શંકા ગઈ અને અમે તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ, અમે જેવો તેને રોકવાનો પ્રયાસ કર્યો તે ત્યાંથી ભાગવા લાગી. બાદમાં અમે તાત્કાલિક કોસ્ટગાર્ડને સંપર્ક કર્યો અને બાદમાં ઘટનાની ગંભીરતાને સમજીને કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે ત્યાં પહોંચ્યું. જોકે, જાણે હેલિકોપ્ટરથી બચાવ કરતું હોય તેમ તે વધુ ઝડપે ભાગવા લાગ્યા. આ બોટમાં બે થી ત્રણ લોકો સવાર હતા. હાલ આ બોટ અજાણ અને શંકાસ્પદ હોવાના કારણે દરિયામાં તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.’

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાને લઈને હવાઈ અને જમીની સરહદની સાથે દરિયાઈ સરહદમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહત્ત્વનું છે કે આ કવાયતથી ગભરાવાની કોઈ જરૂર નથી. વાવાઝોડાની આગાહી અને સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી બિનજરૂરી અફવામાં ન આવવું જોઈએ.