કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે, વિકાસ કાર્યોની આપશે ભેટ

AMIT SHAH IN GUJARAT : પાલિકા અને ગુડા દ્વારા હાથ પર લેવાયેલા અંદાજે રૂ. 700 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાશે
- કેન્દ્રિય ગૃહમંત્રીના આગમનને લઇને તંત્ર એલર્ટ
- બે દિવસીય પ્રવાસમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે
- નાગરિકોને મળશે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ
AMIT SHAH IN GUJARAT : ભારત સરકારના કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહ (HOME MINISTER OF INDIA AMIT SHAH) આજરોજ ગુજરાતના બે દિવસ પ્રવાસે (GUJARAT VISIT) આવનાર છે. ત્યારે તેમના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને ગુડા દ્વારા હાથ પર લેવાયેલા અંદાજે રૂ. 700 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહમંત્રીની મુલાકાતને પગલે વહીવટી-પોલીસ તંત્ર અલર્ટ થયુ છે.
કોલવડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે
અમિતભાઇ શાહ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના 78 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવનાર છે. તે પૈકી 575.43 કરોડ રૂપિયાના 45 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં ઉત્તર વિધાનસભા વિસ્તારના 168 કરોડના 15 પ્રોજેક્ટ,દક્ષિણ વિસ્તારના 321.50 કરોડના 22 પ્રોજેક્ટ અને બંને વિસ્તારને આવરી લેતા 85.26 કરોડના 8 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સાથે તેઓ ગાંધીનગરના કોલવડા ખાતે જાહેર સભાને સંબોધન કરનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નાગરિકોને વિકાસકાર્યોની ભેંટ મળશે
કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે રૂ. 117 કરોડના ખર્ચે તૈયાર પલ્લવ બ્રિજનું લોકાર્પણ, ચાંદલોડિયામાં ગજરાજ અને જોધપુર વોર્ડમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનનું લોકાર્પણ, આરટીઓ સર્કલ ખાતે રૂ. 25 લાખના ખર્ચે તૈયાર પિંક ટોયલેટનું લોકાર્પણ, ઓવરબ્રિજ નીચે સ્પોર્ટસ એક્ટિવિટીનુ એરિયાનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથે જ સરખેજમાં રૂ. 5.36 કરોડના ખર્ચે રેન બસેરાનું ખાતમુહૂર્ત, સરખેજમાં રૂ. 10.29 કરોડના ખર્ચે શાળા બનાવવાના કાર્યનું ખાતમુહૂર્ત, ચાંદલોડિયામાં મોર્ડન સ્કુલ બનાવવા રૂ. 8.03 કરોડના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવનાર છે. તેમની આ મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના વિકાસકાર્યોની નાગરિકોને ભેંટ મળશે.
આવતી કાલે પણ વિવિધ જગ્યાઓએ ઉપસ્થિત રહેશે
રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મહેસાણામાં શ્રીમતી એસ. સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ, ગોઝારિયા સંચાલિત શ્રી કે. કે. પટેલ અને શ્રીમતી મધુબેન કે. પટેલ નર્સિંગ મહાવિદ્યાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત તેઓ મહેસાણામાં ઓડિસ્સાની ફાલ્કન ગૃપ ઑફ કંપની દ્વારા શરૂ કરાયેલા ‘રેડી ટૂ કૂક ફ્રૉઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ’નું લોકાર્પણ કરશે.