રોહિત અને વિરાટની વિદાય પછી ટીમ ઈન્ડિયામાં હવે ગંભીરનું એકહથ્થુ શાસન, કેપ્ટન બનવાની રેસમાં આ ખેલાડી સૌથી આગળ

Gautam Gambhir: કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે બીસીસીઆઈ સમક્ષ કથિત રૂપે ટીમ પર પોતાનો સંપૂર્ણ કંટ્રોલ માગ્યો છે. મીડિયા સૂત્રો અનુસાર, ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટ સેટઅપમાંથી દૂર કરવામાં મહત્ત્વી ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા સૂત્રો મુજબ, આગામી ટેસ્ટ ટૂર્નામેન્ટ માટે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી પહેલાં જ ગંભીર અને સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજીત અગરકરે વરિષ્ઠ ખેલાડીઓને સ્પષ્ટપણે કહી દીધુ હતું કે, તેઓ યુવા ખેલાડીઓ સાથે ટીમ બનાવી આગળ વધવા માગે છે. આ કરણોસર જૂના ખેલાડીઓએ રિટાયરમેન્ટની જાહેરાત કરી હોવાની અટકળો છે.

રોહિત-વિરાટની નિવૃત્તિમાં ગંભીરની ભૂમિકા?

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત એવુ બન્યું હશે કે, કોઈ હેડ કોચએ ટીમના બે દિગ્ગજ સ્ટાર ક્રિકેટરને બહારનો રસ્તો બતાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. અત્યારસુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન જ ખેલાડોની પસંદગી- રિટાયરમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતાં. હેડ કોચ હંમેશા પડદા પાછળ જ રહેતાં હતાં.

બુમરાહ બની શકે છે કેપ્ટન

મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, જો શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો તો તે ગૌતમ ગંભીરની તમામ વાતો સાંભળશે. કારણકે, તે યુવા ખેલાડી છે. તેને ભવિષ્યમાં સુપરસ્ટાર ખેલાડી તરીકે રજૂ કરી શકાય. પરંતુ હાલ તેણે એટલી સફળતા મેળવી નથી કે, ગંભીરના નિર્ણયોને નકારી શકે. બીજી બાજુ ભારતીય ટેસ્ટ ટીમમાં એકમાત્ર ખેલાડી બુમરાહ છે કે, જે ગંભીરના નિર્ણયોને પડકારી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ માટે ફીટ હશે તો કેપ્ટન માટેની પહેલી પસંદ બનશે.

ગંભીર ગિલને આપશે પ્રાથમિકતા

રોહિત શર્માના કાર્યકાળમાં બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બુમરાહે ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ મેચમાં લીડરશીપ પણ કર્યું હતું. ફાસ્ટ બોલર તરીકે બુમરાહ અત્યંત કિંમતી ખેલાડી છે. તેણે વર્કલોડ મેનેજ કરવાની જરૂર છે. આથી તેને કેપ્ટનશીપ સોંપાઈ રહી નથી. ગંભીર ગિલને કેપ્ટન બનવવા પર ભાર મૂકી શકે છે. જેથી ગંભીર પાસે આખી ટીમનો કંટ્રોલ આવશે.

દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં ગંભીર લેશે કંટ્રોલ

વિરાટ કોહલી, રોહિત શર્મા, આર અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓના સંન્યાસ બાદ તમામ નિર્ણયો ગૌતમ ગંભીર લેશે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર અને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ ગંભીરે બોર્ડ સમક્ષ સંપૂર્ણ સ્વતંત્રતાની માગ કરી હતી.