Operation Sindoor : PM મોદીના ભાષણ પર વિશ્વની મીડિયાએ શું લખ્યું?

પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને આતંકવાદ સામે ભારતની મજબૂત નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ઓપરેશન સિંદૂરને “ન્યાયની અખંડ પ્રતિજ્ઞા” ગણાવી અને જણાવ્યું કે આ ઓપરેશનથી દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે.
- PM મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો
- ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રીય સંબોધન
- PM મોદીનો આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ સંદેશ
- પાકિસ્તાનના ડ્રોન ભારતે તણખાની જેમ ઉડાવ્યા
- વાતચીત નહીં, હવે માત્ર આતંક વિરૂદ્ધ પગલા
- ભારતના શક્તિશાળી જવાબની દુનિયાભરમાં ચર્ચા
- વૈશ્વિક મીડિયા મોદીના સંદેશથી પ્રભાવિત
પાકિસ્તાન વિરુદ્ધ ‘Operation Sindoor’ની સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ રાષ્ટ્રને સંબોધન કરીને આતંકવાદ સામે ભારતની મજબૂત નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ઓપરેશન સિંદૂરને “ન્યાયની અખંડ પ્રતિજ્ઞા” ગણાવી અને જણાવ્યું કે આ ઓપરેશનથી દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠન (terrorist and terrorist organisation) ને સ્પષ્ટ સંદેશ મળ્યો છે. PM મોદીએ કહ્યું, “આજે દરેક આતંકવાદી જાણે છે કે ભારતની બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર હટાવવાનો પ્રયાસ કરવાનું શું પરિણામ આવે છે.” આ નિવેદનથી દેશના લોકોમાં રાષ્ટ્રભક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર થયો.
ભારતની હવાઈ સંરક્ષણ શક્તિ
PM મોદીએ ભારતની લશ્કરી શક્તિ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની અદ્યતન હવાઈ સંરક્ષણ વ્યવસ્થાએ આ હુમલાઓને આકાશમાં જ નાશ કર્યા. PM મોદીએ ઉમેર્યું, “દુનિયાએ જોયું કે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તણખાની જેમ નિષ્ફળ ગયા.” આથી ભારતની લશ્કરી તાકાત વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની.
આતંકવાદ અને વાતચીત એકસાથે નહીં
PM મોદીએ સ્પષ્ટ કર્યું કે, આતંકવાદ અને પાકિસ્તાન સાથે વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે કહ્યું, “હવે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુદ્દે જ થશે.” તેમણે પરમાણુ બ્લેકમેલની ધમકીઓને નકારી કાઢી અને જણાવ્યું કે ભારત કોઈપણ ઉશ્કેરણીનો જવાબ પોતાની શરતો પર આપશે. આ નિવેદનથી ભારતે પાકિસ્તાનને કડક ચેતવણી આપી.
વૈશ્વિક મીડિયાનો પ્રતિસાદ
- PM મોદીના સંબોધનને વૈશ્વિક મીડિયામાં વ્યાપક કવરેજ મળ્યું. અમેરિકાના પ્રખ્યાત અખબાર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પોતાની લશ્કરી કાર્યવાહી ફક્ત રોકી છે, અને ભવિષ્યમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો ભારત પોતાની શરતો પર જવાબ આપશે.
- અખબારે મોદીના નિવેદનને ટાંક્યું, જેમાં તેમણે આતંકવાદ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર વાતચીતની શરત રજૂ કરી.
- જાપાન ટાઈમ્સે નોંધ્યું કે, PM મોદીએ પોતાના ભાષણમાં અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીનો ઉલ્લેખ ન કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય સૈન્યએ પાકિસ્તાનની છાતી પર હુમલા બાદ તેમણે વિશ્વને તણાવ ઘટાડવાની વિનંતી કરી.
- જાપાન ટાઈમ્સે લખ્યું, “પાકિસ્તાને જ્યારે કહ્યું કે તે આગળ આતંકવાદી પ્રવૃત્તિઓ કે લશ્કરી સાહસમાં જોડાશે નહીં, ત્યારે ભારતે તેને ધ્યાનમાં લીધું.” આ ઉપરાંત, અખબારે મોદીના નિવેદનને પણ હાઈલાઈટ કર્યું, જેમાં તેમણે પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરવાની વાત કરી.
- ધ ગાર્ડિયનએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહી ફક્ત “રોકી” છે અને ભવિષ્યના હુમલાઓનો જવાબ પોતાની શરતો પર આપશે. અખબારે એવો પણ દાવો કર્યો કે, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામની શરતોમાં ભવિષ્યની વાટાઘાટો ત્રીજા દેશમાં, જેમ કે સંયુક્ત અરબ અમીરાતમાં, થશે. જોકે, ભારત તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પાકિસ્તાની મીડિયાની પ્રતિક્રિયા
પાકિસ્તાનની મીડિયા એજન્સી સમા ટીવીએ પોતાની વેબસાઈટ પર લખ્યું કે, PM મોદીએ પાકિસ્તાનને યુદ્ધની ધમકી આપીને પ્રાદેશિક તણાવ વધાર્યો છે. અખબારે દાવો કર્યો કે, PM મોદીએ આક્રમક ટિપ્પણીઓ કરી અને બંને પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચેની વાટાઘાટો પર કડક શરતો લાદી. સમા ટીવીએ મોદીના નિવેદનને ટાંક્યું, “વાતચીત અને આતંકવાદ, વેપાર અને આતંકવાદ, પાણી અને લોહી એકસાથે ચાલી શકે નહીં.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે.
ઉલ્લેખનીય છે કે, ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને PM મોદીના રાષ્ટ્રીય સંબોધને ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને લશ્કરી શક્તિને વૈશ્વિક સ્તરે રજૂ કરી. PM મોદીના નિવેદનોએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી કે ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે. વૈશ્વિક મીડિયાએ આ ઘટનાને વ્યાપક કવરેજ આપ્યું, જ્યારે પાકિસ્તાની મીડિયાએ તેને આક્રમક ગણાવ્યું. આ ઓપરેશન ભારતની સુરક્ષા અને એકતાનું પ્રતીક બની ગયું છે.