Gujarat Rain : 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર

વિસાવદરમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. કોટડા સાંગાણી, કુંકાવાવ વડીયામાં પોણા 1 ઈંચ વરસાદ

  • વિસાવદરમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ આવ્યો
  • કોટડા સાંગાણી, કુંકાવાવ વડીયામાં પોણા 1 ઈંચ
  • ગોંડલ, જામકંડોરણા, બગસરામાં દોઢ ઈંચ વરસાદ

Gujarat Rain : ગુજરાત રાજયમાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં વિસાવદરમાં 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. કોટડા સાંગાણી, કુંકાવાવ વડીયામાં પોણા 1 ઈંચ તથા ગોંડલ, જામકંડોરણા, બગસરામાં દોઢ ઈંચ વરસાદ તથા લીલીયા, સાગબારામાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

અંકલેશ્વરમાં 2 કલાકમાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો

અંકલેશ્વરમાં 2 કલાકમાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો તથા ઉમરપાડા અને ઝઘડિયામાં દોઢ ઈંચ વરસાદ, હાંસોટમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તેજ સુરત શહેર, ભરૂચ, બારડોલીમાં અડધો ઈંચ વરસાદ છે. તાપી, નવસારી, નર્મદા, ડાંગમાં વરસાદી માહોલ છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિએ લોકોની ચિંતા વધારી છે. કર્ણાટકના દરિયાકિનારે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે. જેના પગલે બેંગ્લુરુ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

આગામી પાંચ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી

ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આ સિસ્ટમે હજુ લો-પ્રેશર એરિયા બન્યો નથી. જ્યાં સુધી તે ડિપ્રેશન બને નહીં ત્યાં સુધી તેની દિશા નક્કી નહીં થઈ શકે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરી છે. મંગળવાર સાંજથી જ ગોંડલ, બારડોલી, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે ભરૂચમાં પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.

ભાવનગર, અરવલ્લી અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી

ભાવનગર, અરવલ્લી અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી છે. સાથે જ, ગીર સોમનાથ, રાજકોટ અને જૂનાગઢ જેવા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહિસાગર જિલ્લો પણ વરસાદની અસર હેઠળ રહી શકે છે.

આ વાવાઝોડાથી તબાહી મચાવવાની શક્યતા છે

હવામાન વિભાગે મોટી ચેતવણી પણ આપવામાં આવી છે કે 21 મેથી ગુજરાતના 18 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે. આ વાવાઝોડાથી તબાહી મચાવવાની શક્યતા છે, તેથી તંત્રને તેમજ લોકોને સાવધન રહેવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે. જિલ્લાના લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવી જોઈએ અને સલામત સ્થળે રહેવાની તૈયારી રાખવી જોઈએ. તંત્ર દ્વારા તાકીદની સ્થિતિમાં રાહત કામગીરી માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.