પાકિસ્તાનને વિશ્વ સામે ઉઘાડું પાડવાની ભારતની તૈયારી! આજથી ભારતીય સાંસદોના વિદેશ પ્રવાસ થશે શરૂ

આતંકવાદનો સામનો કરવા અને વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવા માટે ભારતે હંમેશા નિર્ણાયક અને સક્રિય ભૂમિકા ભજવી છે. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આતંકવાદ સામે એક નવું અને નક્કર પગલું ભર્યું છે, જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનના આતંકવાદી સમર્થનને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો છે. મોદી સરકારે આ માટે એક વ્યાપક વ્યૂહરચના તૈયાર કરી છે, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, રાજદૂતો અને પ્રતિનિધિમંડળોને 32 દેશોમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- પાકિસ્તાનને વિશ્વ સામે ઉઘાડું પાડવાની ભારતની તૈયારી
- આજથી ભારતીય સાંસદોના વિદેશ પ્રવાસ થશે શરૂ
- 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશની રાજધાનીમાં જશે
- 21 મેના રોજ યુએઈ, 22 મેના રોજ રશિયા-જાપાન, 24 મે કોરિયા
- 25 મેના રોજ ફ્રાન્સ, 27 મે સાઉદી, 28 મેના રોજ ઇન્ડોનેશિયામાં
- 29 મેના રોજ ડેનમાર્ક, 31મેના રોજ મલેશિયા, 1 જૂનના રોજ બ્રિટન
- પ્રતિનિધિમંડળ 3 જૂનના રોજ યુએસએ, 5 જૂનના રોજ જર્મનીમાં જશે
ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લઈને નવી રેખા દોરી છે અને ભારત સરકારે (Indian government) પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની વ્યૂહરચના ઘડી છે. આ હેતુથી, સરકારે વિશ્વને પાકિસ્તાનના આતંકવાદી સમર્થન અને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની કાર્યવાહી વિશે જાગૃત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, ભારતના તમામ રાજકીય પક્ષોના 51 નેતાઓ, 85 રાજદૂતો અને 7 પ્રતિનિધિમંડળોને 32 દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે, જેઓ પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ અને ભારતના ઓપરેશન સિંદૂર દ્વારા તેનો સામનો કરવાની કાર્યવાહીને વિશ્વ સમક્ષ રજૂ કરશે.
વિવિધ પક્ષોનું સંયુક્ત પ્રતિનિધિમંડળ
આ પ્રતિનિધિમંડળોમાં ફક્ત ભાજપના નેતાઓ જ નહીં, પરંતુ દેશના તમામ રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં ભારત એકજૂટ છે. આ 7 પ્રતિનિધિમંડળોમાંથી 2 પ્રતિનિધિમંડળો 21 મે, 2025ના રોજ વિદેશ રવાના થઈ રહ્યા છે. પ્રથમ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝા કરશે, જે જાપાનની મુલાકાત લેશે.
સંજય ઝાનું પ્રતિનિધિમંડળ
સંજય ઝાના નેતૃત્વમાં પ્રથમ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી, ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી, ભાજપના સાંસદ બ્રિજલાલ, સીપીઆઈના સાંસદ ડૉ. જોન બ્રિટાસ, ભાજપના સાંસદ પ્રદાન બરુઆ, ભાજપના સાંસદ હેમાંગ જોશી, કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ અને રાજદૂત મોહન કુમારનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા અને સિંગાપોરની મુલાકાત લેશે, જ્યાં તેઓ પાકિસ્તાનના આતંકવાદી સમર્થન અને ભારતની કાર્યવાહીની વિગતો રજૂ કરશે.
શ્રીકાંત શિંદેનું બીજું પ્રતિનિધિમંડળ
બીજું પ્રતિનિધિમંડળ શિવસેનાના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં 21 મેના રોજ રવાના થશે. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ બંસુરી સ્વરાજ, IUMLના સાંસદ ET મોહમ્મદ બશીર, ભાજપના સાંસદ અતુલ ગર્ગ, ભાજપના સાંસદ સસ્મિતા પાત્રા, ભાજપના સાંસદ મનન કુમાર મિશ્રા, ભાજપના સાંસદ SS અહલુવાલિયા અને રાજદૂત સુજન ચિનોયનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ સૌપ્રથમ UAE જશે, ત્યારબાદ કોંગો, સિએરા લિયોન અને લાઇબેરિયાની મુલાકાત લેશે.
ત્રીજું પ્રતિનિધિમંડળ અને કનિમોઝીનું નેતૃત્વ
ત્રીજું પ્રતિનિધિમંડળ ડીએમકેના સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં 22 મેના રોજ રશિયા જશે. આ પ્રતિનિધિમંડળ ત્યારબાદ 31 મે સુધીમાં સ્લોવેનિયા, ગ્રીસ, લાતવિયા અને સ્પેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ આતંકવાદ વિરુદ્ધ ભારતની નીતિ અને કાર્યવાહીની વિગતો શેર કરશે.
કોંગ્રેસની ભૂમિકા અને આક્ષેપો
આ 7 પ્રતિનિધિમંડળોમાં કોંગ્રેસના 3 નેતાઓનો પણ સમાવેશ છે, જેમાંથી એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શશિ થરૂર કરી રહ્યા છે. આ ઉપરાંત, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના જૂથમાં કોંગ્રેસના નેતાઓ સલમાન ખુર્શીદ, મનીષ તિવારી, આનંદ શર્મા અને અમર સિંહનો સમાવેશ થાય છે. જોકે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તેમના દ્વારા આપવામાં આવેલા નેતાઓના નામ બદલી નાખવામાં આવ્યા છે અને તેમના નામની જગ્યાએ અન્ય નામો ઉમેરવામાં આવ્યા છે. કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે રાજકારણ દેશની અંદર સુધી મર્યાદિત છે, પરંતુ રાષ્ટ્રીય હિત માટે આંતરરાષ્ટ્રીય જવાબદારી અલગ છે. શશિ થરૂરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે.
દેશોની પસંદગીનું મહત્વ
આ દેશોની પસંદગી ખાસ વ્યૂહરચના સાથે કરવામાં આવી છે. આફ્રિકાની પસંદગી વૈશ્વિક દક્ષિણને આતંકવાદ વિરુદ્ધ એકજૂટ કરવા માટે કરવામાં આવી છે. ગલ્ફ દેશોની પસંદગી આતંકવાદી ભંડોળ અને વ્યૂહાત્મક નબળાઈઓ ઉજાગર કરવા માટે કરવામાં આવી છે. યુરોપની મુલાકાતનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રભાવશાળી દેશો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદી ખતરાનો સામનો કરવા તેમજ ગુપ્ત માહિતી શેરિંગ અને વ્યૂહરચના સંકલન માટે પૂર્વ એશિયા અને અમેરિકાને પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રયાસ દ્વારા ભારત ન માત્ર પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવા માંગે છે, પરંતુ વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરુદ્ધ એકજૂટ થવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ પ્રેરિત કરવા માંગે છે.