સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ

Jairam Ramesh On Congress List For Delegation: આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જુદા-જુદા દેશોમાં રાજકીય પક્ષોના નેતાઓનું પ્રતિનિધિમંડળ મોકલવામાં આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલી યાદીમાંથી સરકારે એક જ નામ પસંદ કરતાં જયરામ રમેશે ટીકા કરી છે. જયરામ રમેશે શશી થરૂર સહિત પક્ષમાંથી પસંદ કરાયેલા અન્ય પ્રતિનિધિઓને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા હાંકલ કરી છે.
એક જ નામ પસંદ કર્યું
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ મામલે શશી થરૂર સહિત અન્ય ડેલિગેશનને અંતરાત્માની અવાજ સાંભળવા અપીલ કરતાં કહ્યું કે, તમે ક્રોનોલોજી સમજો, 16 તારીખે સરકાર દ્વારા કિરેન રિજિજૂએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સમક્ષ ઓલ-પાર્ટી ડેલિગેશન માટે ચાર નામ આપવા કહ્યું હતું. રાહુલ ગાંધીએ પત્ર લખી 16 તારીખે 12 વાગ્યા પહેલાં જ આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન અને રાજા બરારનું નામ આપ્યું હતું. પરંતુ સરકારે તેમાંથી માત્ર એક જ નામ આનંદ શર્મા પસંદ કર્યું.
પોતાની અંતરાત્મા સાંભળોઃ જયરામ રમેશ
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, અમે શું કહીએ, આ તમામ અમારા સાંસદ છે. કોંગ્રેસના સાંસદ છે. તેઓએ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ. અમારી તરફથી અમે ચાર નામ આપ્યા હતાં. અમે જાણીએ છીએ કે, ઓપરેશન સિંદૂરના નામે રાજકારણ રમાઈ રહ્યું છે. પરંતુ અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે, મહત્ત્વનું છે. પણ તેઓએ અમારી યાદીમાંથી એક જ નામ પસંદ કર્યું.
શશિ થરૂરને બનાવ્યા હેડ
કેન્દ્ર સરકારે કોંગ્રેસ દ્વારા સૂચવવામાં આવેલા ચાર નામમાંથી માત્ર એક જ નામ પસંદ કર્યું. આ સિવાય પોતાની જાતે શશિ થરૂર, મનીષ તિવારી, અને અમર સિંહને પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા. તેમાં પણ થરૂરને વિદેશ ઓપરેશન સિંદૂરની પહોંચ બનાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવાં જઈ રહેલા પ્રતિનિધિમંડળના હેડ બનાવ્યા છે. જેના પર જયરામ રમેશે ટીકા કરી છે કે, કોંગ્રેસના હોવુ અને કોંગ્રેસના થઈને રહેવું બંનેમાં જમીન-આકાશનું અંતર છે. જયરામ રમેશે કોંગ્રેસની તુલના ગંગા સાથે કરતાં કહ્યું કે, તેને પણ ઘણી ઉપનદીઓ છે. અમુક સુકાઈ ગઈ છે અને અમુક પ્રદુષિત થઈ ગઈ છે.