ભારતીય નૌસેનાએ પાકિસ્તાન પર મિસાઇલો અને ટોર્પિડો ફાયર કર્યા, રક્ષામંત્રીનો ખુલાસો

RAJNATJ SINGH : જ્યાં સુધી દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા મજબૂત હાથમાં છે ત્યાં સુધી કોઈ ભારત તરફ વાંકીચૂકી નજરે જોઈ શકશે નહીં
- રાજનાથસિંહ આઇએનએસ વિક્રાંતની મુલાકાતે પહોંચ્યા
- તેમણે નૌસેનાના જવાનો સાથે સંવાદ સાધ્યો
- ઓપરેશન સિંદૂર દરમિયાન કરેલી કામગીરીની ભરપેટ પ્રશંસા કરી
RAJNATH SINGH : પહલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને પડોશી દેશને સીધોદોર કરી દીધો હતો. આ લશ્કરી કાર્યવાહીમાં ભારતીય સેનાની ત્રણેય પાંખે અદ્ભુત બહાદુરી દર્શાવી હતી. આ બાદ સંરક્ષણ મંત્રીએ (DEFENCE MINISTER OF INDIA) ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાત (INS VIKRANT) લીધી છે.
ઓપરેશનની સફળતા અંગે તેમની જોડે ચર્ચા કરી
આ મુલાકાત અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (RAJNATH SINGH) ની તસવીર સામે આવી છે. જેમાં તેઓ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રાંત પર સવાર જોવા મળી રહ્યા છે. આ ફોટામાં તેમની સાથે નૌકાદળના અધિકારીઓ અને સૈનિકો પણ છે. સંરક્ષણ મંત્રી અરબી સમુદ્રમાં તૈનાત INS વિક્રાંત પર નૌકાદળના અધિકારીઓ અને સૈનિકોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ ઓપરેશનની સફળતા અંગે તેમની જોડે ચર્ચા કરી હતી.
વિક્રાંતનો અર્થ થાય છે – અદમ્ય હિંમત અને અજેય શક્તિ
આ તકે, રાજનાથ સિંહે કહ્યું કે, આજે હું INS વિક્રાંત પર નૌકાદળના સૈનિકો વચ્ચે આવીને ખૂબ જ ખુશ છું. હું ભારતની દરિયાઈ શક્તિના ગૌરવ, INS વિક્રાંત પર ઉભો છું, ત્યારે મને માત્ર ખુશી જ નહીં, પણ ગર્વ અને આત્મવિશ્વાસ પણ મળે છે. જ્યાં સુધી દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા તમારા મજબૂત હાથમાં છે ત્યાં સુધી કોઈ ભારત તરફ વાંકીચૂકી નજરે જોઈ શકશે નહીં. વિક્રાંતનો અર્થ થાય છે – અદમ્ય હિંમત અને અજેય શક્તિ. આજે બહાદુર સૈનિકોની વચ્ચે ઊભો રહીને હું આ નામનો અર્થ સાકાર થતો જોઈ રહ્યો છું. તમારી આંખોમાં જે દૃઢ નિશ્ચય છે તે ભારતની સાચી શક્તિને પ્રતિબિંબિત કરે છે.
ભારત હવે વધુ સહન નહીં કરે
તેમણે કહ્યું કે, હું તમને બધાને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન આપું છું. પહલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલા પછી જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ત્યારે આપણા દળોએ જે ઝડપ અને ચોકસાઈ સાથે કાર્યવાહી કરી તે અદ્ભુત હતી. તેઓએ માત્ર આતંકવાદીઓને જ નહીં પરંતુ તેમને ટેકો આપનારાઓને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત હવે વધુ સહન નહીં કરે. ભારત સીધો જવાબ આપશે. આ સમગ્ર કામગીરીમાં નૌકાદળની ભૂમિકા ગૌરવશાળી રહી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યારે વાયુસેનાએ પાકિસ્તાની ધરતી પર આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો તે પછી અરબી સમુદ્રમાં તમારી આક્રમક જમાવટ અને દરિયાઈ પ્રભુત્વએ પાકિસ્તાન નૌકાદળને તેના પોતાના કિનારા સુધી સિમિતકરી દીધું હતું. તે સમુદ્રમાં આવવાની હિંમત પણ એકઠી કરી શક્યો ન્હતો.
આખી દુનિયાને અપીલ કરવાનું શરૂ કર્યું
સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, ખૂબ જ ઓછા સમયમાં અમે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ અને તેમના ઇરાદાઓને ધ્વસ્ત કર્યો હતો. અમારો હુમલો એટલો જોરદાર હતો કે પાકિસ્તાને ભારતને રોકવા માટે આખી દુનિયાને અપીલ કરવાનું શરૂ કર્યું હતું. હું ફરીથી કહી રહ્યો છું કે, આપણે પોતાની શરતો પર આપણી લશ્કરી કાર્યવાહી બંધ કરી દીધી છે.
સફળતાપૂર્વક ટોર્પિડો છોડ્યા
તેમણે વધુમાં ઉમેર્યું કે, સમુદ્રમાં તૈનાત આપણા જહાજોના કાફલાએ આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો છોડ્યા હતા અને પશ્ચિમ અને પૂર્વીય કિનારા પર સફળતાપૂર્વક ટોર્પિડો છોડ્યા હતા. જે આપણી લડાઇની તૈયારી દર્શાવે છે. આ લાંબા અંતરના ચોકસાઇવાળા હુમલાઓએ દુશ્મન સામેના અમારા ઇરાદા પણ દર્શાવ્યા અને આનાથી દુશ્મન બચાવની સ્થિતિમાં આવી ગયો હતો.