QR કોડ હશે તો જ એન્ટ્રી, આ રંગના વસ્ત્રો નહીં પહેરી શકાય, PM મોદીના રોડ શૉમાં પ્રવેશના નિયમ

Rules for Entry into PM Modi’s Road Show: ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ગાંધીનગરમાં રોડ શૉમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જોકે, રોડ-શૉમાં કાળા વસ્ત્રો પહેરનારાંને એન્ટ્રી નહી મળે. ઉલ્લેખનીય છેકે, QR કોડ વિના વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે પ્રવેશ અપાશે નહીં. સરકાર વિરુધ્ધ દેખાવ થવાની ભીતિને પગલે પોલીસે ખાસ દેખરેખ રાખી છે.
રોડ શૉમાં 50,000 લોકો એકત્ર થશે
વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે ત્યારે અમદાવાદ-ગાંધીનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદમાં એરપોર્ટથી માંડીને ઇન્દિરા બ્રિજ સુધી રોડ-શૉનું આયોજન કરાયુ છે તે જ પ્રમાણે ગાંધીનગરમાં પણ રોડ શૉનું આયોજન કરાયું છે જેમાં 50,000 લોકો એકત્ર થાય તેમ છે તે જોતાં પાણી-ફુડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કાળા કલરના વસ્ત્રો પહેરીને આવનારને એન્ટ્રી નહિ મળે
પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે, સંપૂર્ણ કાળા વસ્ત્રો સાથે કોઇપણ વ્યક્તિ રોડ-શૉમાં આવે નહી તેની ખાસ તકેદારી રાખવી. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને પાર્કિંગથી બ્લોક સુધી લઇ જવા અધિકારીઓને જવાબદારી સુપરત કરવામાં આવી છે. પરંપરાગત નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માર્ગો પર ઠેર ઠેર સ્ટેજ બનાવાયાં છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વખતે સરકાર-પોલીસને વડોદરાવાળી થવાની ભીતિ પેઠી છે જેના પગલે બાજનજર રાખવામાં આવી રહી છે.
ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાનની પ્રથમ ગુજરાત મુલાકાત
ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.24,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કરશે. જયારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5539 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.