જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કિસ્સામાં ટ્વીસ્ટ! સામે આવ્યું ‘કેક’ કનેક્શન

પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનાર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે આ મામલે એક કેકવાળાની એન્ટ્રી થઈ છે.

  • જ્યોતિ મલ્હોત્રાના કેસમાં નવો વળાંક
  • જ્યોતિએ શૂટ કરેલા વીડિયોમાંથી ખુલાસો થયો
  • જ્યોતિ ત્રણ વખત પાકિસ્તાન ગઈ હતી

Jyoti Malhotra: હરિયાણાના હિસારની રહેવાસી જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની કસ્ટડીમાં છે. સુરક્ષા એજન્સીઓ જ્યોતિ પાસેથી તમામ જરૂરી માહિતી એકઠી કરવામાં વ્યસ્ત છે, જેમાં પાકિસ્તાન અને ISI સાથે સંકળાયેલા લોકો સાથેની તેની મુલાકાતોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે અને આ ખુલાસો બીજે ક્યાંયથી નહીં પણ જ્યોતિ મલ્હોત્રા દ્વારા શૂટ કરાયેલા એક વીડિયોમાંથી થયો છે.

જ્યોતિએ પાકિસ્તાનમાં ઘણા વીડિયો બનાવ્યા

જે દિવસે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, તેના બીજા જ દિવસે એટલે કે 23 એપ્રિલ, 2025ના રોજ, એક વ્યક્તિ દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં કેક લઈને જતો જોવા મળ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કોના માટે કેક લઈ જઈ રહ્યો છે, ત્યારે તે એક શબ્દ પણ બોલ્યો ન હતો.

જોકે, બાદમાં જ્યારે તે વ્યક્તિની કુંડળી તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે તેનું જ્યોતિ મલ્હોત્રા સાથેનું કનેક્શન સામે આવ્યું. હા.. જ્યારે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી ત્યારે તેણે ઘણા વીડિયો બનાવ્યા હતા અને શેર પણ કર્યા હતા. જ્યોતિ મલ્હોત્રાના એક વીડિયોમાં, એક વ્યક્તિ જોવા મળી હતી જેનો ચહેરો પાકિસ્તાની દૂતાવાસમાં કેક લઈ જતી વ્યક્તિ સાથે સંપૂર્ણપણે મેચ થાય છે. આવી સ્થિતિમાં, જ્યોતિ મલ્હોત્રાની આ વ્યક્તિ વિશે પૂછપરછ થઈ શકે છે.

જ્યોતિ મલ્હોત્રાને પ્રચારના ભાગરૂપે પાકિસ્તાન ગઈ હતી

આતંકવાદના આશ્રયસ્થાન તરીકે ઓળખાતા પાકિસ્તાનની છબી આખી દુનિયાની સામે એવી થઈ ગઈ છે કે દુનિયાનો કોઈ દેશ પાકિસ્તાનની સાથે ઊભો રહેવા તૈયાર નથી. જોકે, ફક્ત તુર્કીએ જ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો. આવી સ્થિતિમાં, સમગ્ર વિશ્વની નજરમાં પોતાની છબી સુધારવા માટેના પ્રચારના ભાગરૂપે, પાકિસ્તાને પોતાની ઉદારતા અને ભલાઈ બતાવવા માટે એક ભારતીય યુટ્યુબર અને સોશિયલ મીડિયા પ્રભાવકને હાયર કર્યા.

આ પછી, જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના ખર્ચે ત્રણ વખત પાકિસ્તાન ગઈ અને પાકિસ્તાનના પ્રચારના ભાગ રૂપે તેના વીડિયોમાં પાકિસ્તાનની ભલાઈ બતાવી. એટલું જ નહીં, પહેલગામ હુમલા પછી પણ જ્યોતિ મલ્હોત્રાએ હુમલા માટે પાકિસ્તાનને દોષ આપવાને બદલે ભારત પર આંગળી ચીંધી હતી.