Jammu Kashmir : ભારતીય સેનાનું મોટું ઓપરેશન, LoC નજીક 42 શેલને ડિફ્યૂઝ કરવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ સુરક્ષા માટે એક મોટું અને સફળ ઓપરેશન હાથ ધર્યું છે. પૂંછ જિલ્લામાં આવેલા સરહદી ગામડાઓમાં પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા 42 જીવંત શેલને સેનાની બોમ્બ નિષ્ક્રિય ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી સફળતાપૂર્વક ડિફ્યૂઝ કરી દીધા છે. આ શેલ રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં મળ્યા હતા, જેના કારણે સ્થાનિક નાગરિકોના જીવને ગંભીર ખતરો ઊભો થયો હતો.
- જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું મોટું ઓપરેશન
- LoC નજીક 42 શેલને ડિફ્યૂઝ કરવામાં આવ્યા
- પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યા હતા શેલ
- ઝુલાસ, સલોત્રી, ધારાતી, સલાની વિસ્તારમાં કામગીરી
- સેનાની બોમ્બ નિકાલ ટીમોએ હાથ ધરી કામગીરી
- 42 ન ફૂટેલા ગોળાનો સુરક્ષિત રીતે નાશ કરાયો
Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારતીય સેનાએ સ્થાનિક પોલીસના સહકારથી એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન હેઠળ નિયંત્રણ રેખા (LoC) નજીકના કેટલાક ગામડાઓમાંથી કુલ 42 જીવંત બોમ્બ (શેલ)ને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આ તમામ શેલ પાકિસ્તાન તરફથી થયેલા તાજેતરના ગોળીબાર દરમિયાન ભારતીય વિસ્તાર તરફ પડ્યા હતા, જે સ્થાનિક નાગરિકો (local civilians) ની સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે તેવી સ્થિતિ ઊભી કરી રહ્યાં હતા.
ઓપરેશનની વિગતો અને સ્થાન
આ ઓપરેશન પૂંછ જિલ્લાના ઝુલાસ, સલોત્રી, ધારતી અને સલાની ગામડાઓમાં હાથ ધરાયું હતું. આ બધા ગામો સીધી રીતે LoC પાસે આવેલા હોવાથી અવારનવાર પાકિસ્તાન તરફથી થતા ગોળીબારના સંઘર્ષોને સહન કરતા આવ્યા છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના કારણે આ વિસ્તારોમાં રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, ભારે જોખમ વચ્ચે ભારતીય સેનાની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી દીધું. 42 જેટલા ન ફૂટેલા શેલ રહેણાંક વિસ્તારમાં તેમજ ખેતરોમાં પડ્યા હતા, જ્યાં લોકોનો દૈનિક વ્યવહાર થતો રહે છે. જો આ શેલ સમયસર ન નિષ્ક્રિય કરવામાં આવ્યાં હોત, તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકવાની સંભાવનાઓ હતી.
સ્થાનિક લોકો માટે મોટી રાહત
આ અંગે સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દરેક શેલને ખૂબ સાવધાની સાથે ઓળખી, તપાસી અને પછી નિષ્ક્રિય કરવામાં આવ્યા. કામગીરી દરમિયાન સુરક્ષા અને સલામતીના તમામ ધોરણોનું કડક પાલન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે સેનાની આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ફક્ત સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો નથી પરંતુ સરહદી વિસ્તારોમાં સામાન્યતા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પણ છે. આ શેલ મુખ્યત્વે એવા વિસ્તારોમાં પડ્યા હતા, જ્યાં ખેતમજૂરો કામ કરતાં હોય છે અને બાળકો રમી રહ્યાં હોય છે. જો તે સમયસર ન ડિફ્યૂઝ કરાયા હોત, તો નિર્દોષ નાગરિકોનું જીવન જોખમમાં પડી શકતુ.
બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ના ભાગરૂપે પાકિસ્તાની અને પાકિસ્તાને અધિકૃત કાશ્મીર (POK)માં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ પગલાની જવાબદારી તરીકે, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી પોઝિશનોને નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. આ તણાવભરી પરિસ્થિતિ બાદ, 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની તાત્કાલિક સંમતિ પણ બની હતી.