ઓપરેશન સિંદૂર વખતે Youtuber જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતી

Youtuber Jyoti Malhotra : પહલગામ હુમલા પહેલા જ્યોતિ મલ્હોત્રા કાશ્મીર ગઇ હતી. તે પહેલાં તેણીએ પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી
- યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કેસમાં એક પછી એક સ્ફોટચ માહિતી સામે આવી રહી છે
- જ્યોતિના પાકિસ્તાન અને ચીન સાથેના સંપર્કો ખુલી રહ્યા છે
- તપાસ એજન્સીઓ જ્યોતિ સાથે સંકળાયેલા યુટ્યુબર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી શકે છે
Youtuber Jyoti Malhotra : હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (Youtuber Jyoti Malhotra) ને લઇને એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રા પહેલા પાકિસ્તાન (PAKISTAN) ગઇ હતી. ત્યાર બાદ તેણે કાશ્મીરની મુલાકાત લીધી હતી. ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) સમયે તે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (PIOs) સાથે સીધા સંપર્કમાં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. હરિયાણા પોલીસના અનુસાર, આ ‘ટ્રાવેલ વ્લોગર’નો સામાન્ય કેસ નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું એક ગંભીર કાવતરું છે.
પ્રવૃત્તિઓ અને સંપર્ક શંકાસ્પદ જણાઈ આવ્યા
22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવા માટે પાકિસ્તાનની અંદર હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યોતિ મલ્હોત્રાની પ્રવૃત્તિઓ અને સંપર્ક શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન તે પીઆઈઓ સાથે સંપર્કમાં હતી અને વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ દ્વારા સંવેદનશીલ માહિતી શેર કરતી હતી.
વિઝા માંગતો વીડિયો પણ શેર કર્યો
હિસારના એસપી શશાંક કુમાર સાવને જણાવ્યું કે, પહલગામ હુમલા પહેલા જ્યોતિ મલ્હોત્રા કાશ્મીર ગઇ હતી. તે પહેલાં પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી, જેને સુનિયોજીત પ્રવાસ હોવાનું માનવામાં આવે છે. પોલીસ હવે આ યાત્રાઓ પાછળના હેતુની સઘન તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, તે એક વખત ચીનની મુલાકાતે ગઈ હતી અને ત્યાંના વિઝા માંગતો વીડિયો પણ શેર કર્યો હતો. સાથે જ તે અન્ય ભારતીય યુટ્યુબરના સંપર્કમાં પણ હતી તેમની સામે પણ હવે પાકિસ્તાની એજન્સીઓ સાથેના શંકાસ્પદ સંબંધો અંગેની તપાસ ચાલી રહી છે.
પર્સોના નોન ગ્રેટા જાહેર કરીને દેશમાંથી હાંકી કાઢ્યા
એસપીએ ખુલાસો કર્યો કે જ્યોતિ મલ્હોત્રા નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત એક અધિકારી સાથે સીધા સંપર્કમાં હતી. તાજેતરમાં ભારત સરકારે તેમને પર્સોના નોન ગ્રેટા જાહેર કરીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. એફઆઈઆર મુજબ, જ્યોતિ મલ્હોત્રાએ 2023 માં પાકિસ્તાન વિઝા મેળવવા હાઈ કમિશનમાં તૈનાત એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશનો સંપર્ક કર્યો હતો.
આ એક પ્રકારનું ‘નેરેટિવ યુદ્ધ’ છે
જ્યોતિ મલ્હોત્રાની યુટ્યુબ ચેનલ ‘ટ્રાવેલ વિથ જો’ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના લાખો ફોલોઅર્સ છે, જેનો ઉપયોગ તે પાકિસ્તાની પ્રેરિત વાતોને પ્રોત્સાહન આપવા માટે કરી રહી હતી. પોલીસના મતે આ એક પ્રકારનું ‘નેરેટિવ યુદ્ધ’ છે, જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર્સનો એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
અત્યાર સુધી થયેલી કાર્યવાહી
- જ્યોતિ મલ્હોત્રાની ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
- તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો.
- પોલીસ તેના લેપટોપ અને મોબાઇલ ડિવાઇસનું ફોરેન્સિક પરીક્ષણ કરી રહી છે.
- પૈસાના વ્યવહારો, મુસાફરીની વિગતો અને પાકિસ્તાની અધિકારીઓ સાથેની બેઠકોની તપાસ ચાલુ છે.
- પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ હવે આ કેસના ઊંડા નેટવર્કની તપાસ કરી રહી છે, અને આ કેસમાં વધુ ભારતીય સંપર્કોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.