દેશભરમાં બહિષ્કાર, ગુજરાતમાં આવકાર : પાક. સમર્થક તૂર્કીયે સાથે સરકારનું વ્યાપારિક ઈલુ ઇલુ

Gujarat Turkey Relation: યુધ્ધ વખતે પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કિયેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રાવેલ્સ એજન્ટથી માંડીને ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટીઓએ તુર્કિયે સાથે સંબંધો તોડી નાખ્યા છે. આ પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાન સમર્થક તુર્કિયે સાથે ગુજરાત સરકારના વ્યાપારિક સંબંધો બરકરાર રાખ્યાં છે. એટલુ જ નહીં, પાટનગર ગાંધીનગરમાં ઈન્ડેક્સ્ટ-બીએ તો તુર્કિર્યે માટે ખાસ હેલ્પ ડેસ્ક ઉભુ કર્યુ છે. તુર્કિઝ કંપનીઓ માટે લાલજાજમ પાથરી છે. આમ, ગુજરાત સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છે. 

એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી તુર્કિઝ કંપની સેલેબી સાથે પાર્ટનરશીપ રદ 

ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતે તુર્કિયેએ ડ્રોન સહિત અન્ય હથિયાર પાકિસ્તાનને આપીને પાકિસ્તાનને ખુલ્લુ સમર્થન આપ્યું  હતુ. આ જોતાં તુર્કિયને પાઠ ભણાવવાનું નક્કી કરાયુ છે. એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી તુર્કિઝ કંપની સેલેબી સાથે પાર્ટનરશીપ રદ કરી દેવાઈ છે. 

ગુજરાતમાં કચ્છ-મોરબીના વેપારીઓએ પણ તુર્કિયે સાથે વેપારીક સબંધો તોડ્યા 

જેએનયુ અને આઇઆઇટી-મુંબઇએ તુર્કિયે યુનિવસિર્ટી સાથેના શૈક્ષણિક કરાર રદ કર્યા છે. તેમજ ટ્રાવેલ્સ એજન્ટએ તુર્કિયેના ટુર પેકેજોનું બુકિંગ કેન્સલ કરી દીધુ છે. ગુજરાતમાં કચ્છ-મોરબીના વેપારીઓએ પણ તુર્કિયે સાથે વેપારીક સબંધો તોડી નાખ્યા છે. 

ગુજરાતમાં તુર્કિયે કંપનીઓનું મોટુ રોકાણ

આ તરફ, ગુજરાત સરકારનું તુર્કિયે કંપનીઓ તરફનો વ્યાપારિક મેળજોળ યથાવત રહ્યો છે. ગુજરાતમાં તુર્કિયે કંપનીઓનું પણ મોટુ રોકાણ હોવાનું જાણવા મળ્યુ છે જેમકે સાણંદ નજીક એક તુર્કિઝ કંપની ભારતીય કંપની સાથે રહીને હોમ એમ્પાયન્સીસ તૈયાર કરી રહી છે. આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે અગ્રેસર ગણાતી એક તુર્કિઝ કંપની હાલ ગુજરાતમાં સરકારી-ખાનગી પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહી છે. 

ઈકેસ્ટ-બીએ તુર્કી માટે ખાસ હેલ્પ ડેસ્ક તૈયાર

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અંડર ગ્રાઉન્ડ ટનલ તુર્કિઝ કંપની બનાવી રહી છે. ખુદ ઉદ્યોગ વિભાગે જ જાહેર કર્યુ છે કે, ગુજરાતમાં તુર્કી કંપનીનું રોકાણ છે. આ ઉપરાંત તુર્કી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવુ હોય તો રાજ્ય સરકાર જમીનથી માંડીને સબસિડી આપવા પણ તૈયાર છે. આ માટે ઈકેસ્ટ-બીએ તુર્કી માટે ખાસ હેલ્પ ડેસ્ક તૈયાર કર્યુ છે. 

તુર્કિયે સાથે વેપાર અંગે ગુજરાત સરકારની બેવળુ વલણ 

તુર્કિયેનો ચારેકોર ભરપૂર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે એક હરફ ઉચ્ચારવાનું ટાળ્યુ છે. એટલુ જ નહીં, સરકારને ગળે બરોબરનું હાડકુ ભરાયુ છે. હવે લોકો સવાલ કરી રહ્યાં છે કે, ગુજરાત સરકાર તુર્કિયે સાથેના રાજકીય-વ્યાપારિક સબંધો ક્યારે તોડશે? આમ, ગુજરાત સરકારની બેવળુ વલણ ખુલ્લુ પડ્યુ છે. 

એક તુર્કિઝ કંપનીને હસ્તગત કરવા ગોઠવણ પાડવામાં આવી 

તુર્કિયેનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં મેટ્રો રેલથી માંડીને અન્ય પ્રોજેક્ટ તુર્કિઝ કંપની પાસે છે. આ જોતાં ગુજરાત સરકારની સ્થિતી ‘માં મને કોઠીમાં કાઢ’ તેવી થઈ છે. દરમિયાન એવી ચર્ચાએ જોર પકડયુ છે. પાકિસ્તાનની પંગતમાં બેઠેલાં તુર્કિર્યે વિરુધ્ધ દેશની જનતામાં ભારે આક્રોશ ભભક્યો છે ત્યારે ભારતમાં કાર્યરત એક તુર્કિયે કંપનીને હસ્તગત કરવા ગોઠવણ પાડવામાં આવી છે. તુર્કિઝ કંપનીને હસ્તગત કરી સરકારના માનિતા-મળતિયાને પધરાવી દેવા આયોજન કરાયુ છે.