શું IAEA પાકિસ્તાનના પરમાણુ ઉર્જા પર ‘પાવર બ્રેક’ લગાવશે? શ્રીનગરથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી માંગ

પાકિસ્તાનમાં રેડિએશન લીકેની ચર્ચા વચ્ચે સંરક્ષણમંત્રીએ તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાન જેવા રાષ્ટ્રમાં પરમાણુ હથિયાર સલામત નથી.
- પાકિસ્તાનમાં રેડિએશન લીકની ચર્ચા વચ્ચે રાજનાથસિંહનો વાર
- સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે IAEAને સાફ શબ્દોમાં કહ્યું
- પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો કંટ્રોલ લે IAEA
- પાકિસ્તાન જેવા રાષ્ટ્રમાં પરમાણુ હથિયારો સલામત નથી
પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. હવે રાજનાથ સિંહે પાકિસ્તાનની ધમકીઓને નકારી કાઢી છે. શ્રીનગર પહોંચેલા રાજનાથ સિંહે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે પાડોશી દેશને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે જ્યારે આપણી સેના નિશાન બનાવે છે, ત્યારે આપણે ગણતરી દુશ્મનો પર છોડી દઈએ છીએ.
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત લીધી. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, તેઓ ખીણ પહોંચ્યા અને સેનાના સૈનિકોનું મનોબળ વધાર્યું. આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાનને પણ કડક ચેતવણી આપવામાં આવી હતી.
રાજનાથે કહ્યું, ‘૩૫-૪૦ વર્ષથી, ભારત સરહદ પારથી ચલાવવામાં આવતા આતંકવાદનો સામનો કરી રહ્યું છે.’ આજે ભારતે આખી દુનિયાને સ્પષ્ટ કરી દીધું છે કે આપણે આતંકવાદ સામે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ.
આતંકવાદીઓએ પોતાને સુરક્ષિત ન માનવું જોઈએ
ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓને સ્પષ્ટપણે કહી દીધું છે કે તેઓએ પોતાને ક્યાંય પણ સુરક્ષિત ન માનવું જોઈએ. હવે તેઓ ભારતીય દળોના નિશાના પર છે. દુનિયા જાણે છે કે આપણા દળોનું લક્ષ્ય ચોક્કસ છે અને જ્યારે તેઓ લક્ષ્ય રાખે છે, ત્યારે તેઓ ગણતરી દુશ્મનો પર છોડી દે છે.
પરમાણુ ધમકીઓથી ડરતા નથી
રક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું, ‘અમે તેમના પરમાણુ બ્લેકમેલની પણ પરવા કરી નથી. આખી દુનિયાએ જોયું છે કે પાકિસ્તાને કેટલી બેજવાબદારીપૂર્વક ભારતને ઘણી વખત પરમાણુ ધમકીઓ આપી છે. આજે, શ્રીનગરની ભૂમિ પરથી, હું આખી દુનિયા સમક્ષ આ પ્રશ્ન ઉઠાવવા માંગુ છું: શું આવા બેજવાબદાર અને દુષ્ટ રાષ્ટ્રના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? મારું માનવું છે કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી) ની દેખરેખ હેઠળ લેવા જોઈએ.
IAEA શું છે?
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરમાણુ શસ્ત્રોના ફેલાવાને રોકવા માટે કાર્ય કરે છે. આ સંગઠનની રચના 29 જુલાઈ 1957 ના રોજ થઈ હતી. તેનું મુખ્ય મથક વિયેના, ઑસ્ટ્રિયામાં છે.