કર્નલ સોફિયા કુરેશી વિરૂદ્ધ અશોભનિય ટીપ્પણી કરનાર મંત્રીની ખુરશી ખતરામાં

OPERATION SINDOOR ની બ્રિફીંગ કરનાર અને દેશની સેનાનું પરાક્રમ અને સાહસ ઉજાગર કરનાર વિરૂદ્ધ બોલવું ભારે પડશે
- કર્નલ સોફિયા કુરેશી વિરૂદ્ધ મધ્યપ્રદેશ સરકારના મંત્રીએ ટીપ્પણી કરી હતી
- આ વિવાદીત ટીપ્પણીને પગલે પાર્ટીનું ટોચનું નેતૃત્વ તેમનાથી નારાજ છે
- ગમે ત્યારે મંત્રીપદ જાય તેવી સ્થિતીનું હાલ નિર્માણ થયું છે
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા OPERATION SINDOOR નું બ્રિફીંગ કરનાર કર્નલ સોફિયા કુરેશી અંગે આપવામાં આવેલા નિવેદનથી ભાજપ શિર્ષ નેતૃત્વ અત્યંત નારાજ છે. તે બાદ હવે આદિજાતિ કલ્યાણ મંત્રી વિજય શાહનું પદ જોખમમાં હોવાની પ્રબળ લોકચર્ચા છે. તેમને મુખ્યમંત્રી મોહન યાદવ કેબિનેટમાંથી રાજીનામું આપવાનું કહેવામાં આવી શકે છે અથવા તો તેમને બરતરફ પણ કરવામાં આવી શકે છે. અગાઉ હાઇકોર્ટના આદેશ પર તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી ચુકી છે.
પૂર્વ મુખ્યમંત્રીએ પણ નિંદા કરી
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પણ પોતાના જ મંત્રીથી નારાજ છે. ગત મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી સાથે બેઠક યોજી હતી. જેમાં વિજય શાહના નિવેદન બાદની કાર્યવાહી અંગે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, સીએમ ઓફિસના સોશિયલ હેન્ડલ પરથી કહેવામાં આવ્યું કે, હાઇકોર્ટના આદેશોનું પાલન કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પણ વિજય શાહના નિવેદનની નિંદા કરી હતી અને તેમને બરતરફ કરવાની માંગ કરી હતી.
ફરિયાદ નોંધાઇ
હાઈકોર્ટના આદેશ બાદ, વિજય શાહ વિરુદ્ધ ઈન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) હિતિકા વસલે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ અને ૧૯૬ (૧) (બી) અને 197 (1) (c) હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી હતી.
વિવાદીત નિવેદનનો ભારે વિરોધ
ઓપરેશન સિંદૂર દરમિયાન, આર્મી કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ દ્વારા બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. આ બંને લશ્કરી અધિકારીઓને આ સમયગાળા દરમિયાન દેશભરમાં ઘણી પ્રશંસા મળી. પરંતુ, મધ્યપ્રદેશમાં એક જાહેર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે તેમણે ભારતના કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન તરીકે સરખાવી હતી. જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.