જામનગરમાં તંત્રનું મેગા ડિમોલેશન : કોંગી કોર્પોરેટર તથા સ્થાનિકો દ્વારા વિરોધ કરાતાં ભારે ઘર્ષણ, 5ની અટકાયત

Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ટીપી કપાતની કામગીરીનો સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે પ્રારંભ કરાયો હતો, અને મક્કમતા દાખવીને ઉગ્ર વિરોધની વચ્ચે ડિમોલેશન કામ શરૂ કરી દેવાયું છે.
કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના નાગરિકો સાથે પ્રારંભમાં ભારે ઘર્ષણ થયા બાદ પોલીસ દ્વારા કોંગી કોર્પોરેટર સહિત પાંચ નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને 331 જેટલી મિલકતોના દબાણકારોને નોટિસ આપી દીધા બાદ આજે ડીમોલેશન કરી હાથ ધરી લેવામાં આવ્યું છે. જેમાં 150 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે. ઉપરાંત 100 થી વધુ પોલીસ કર્મચારીઓનો મહિલા પોલીસ સહિતનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે.
જામનગરના સ્વામિનારાયણ નગરથી નવાગામ ઘેડ સુધી 3.5 કી.મીનો વિસ્તાર કે જેમાં 331 મિલકત ધારકોને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અને કુલ 45,284 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા માટે મહાનગરપાલિકા 150 થી વધુ કર્મચારીઓનો જુદી-જુદી ટીમનો કાફલો જોડાયો હતો.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા મહાનગરપાલિકાની અન્ય જુદી જુદી ટીમના અધિકારીઓનો કાફલો જેકેટ પહેરીને વહેલી સવારથી મેદાનમાં ઉતર્યો હતો અને મક્કમતાપૂર્વક ડિમોલેશન કાર્ય શરૂ કરી દેવાયું છે.
પ્રારંભમાં સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા તેની સાથેના અન્ય રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો, અને આ મામલે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી રાહ જોવા માટે અપીલ કરી હતી. પરંતુ તંત્રએ મચક આપી ન હતી, અને ભારે દેકારો અને ઘર્ષણ થયું હતું. દરમિયાન પોલીસે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત પાંચ સ્થાનિક નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને પોલીસવાનમાં બેસાડી તમામને પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવાયા હતા, ત્યારબાદ ડિમોલેશન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યવાહીમાં 10 જેસીબી મશીન, 10 ટ્રેક્ટર, બે હિટાચી મશીન વગેરેનો ઉપયોગ કરીને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ઉપરાંત ફાયર વિભાગની ચાર ટીમ, મેડિકલ વિભાગની બે ટીમ, લાઈટ શાખાની ચાર ટીમ, અને પીજીવીસીએલની પણ બે ટીમની મદદ લેવામાં આવી છે. અને સ્વામિનારાયણ નગરથી ડિમોલેશન કાર્ય શરૂ કરી દેવાયું હતું. ઉપરાંત નવાગામ ઘેડ સહિત અલગ અલગ વિસ્તારોમાં પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગત શનિવારે માર્કિંગ કરી લેવાયું હતું, તે પ્રમાણે પાડતોડ શરૂ કરી દેવાઇ છે. આ સમગ્ર કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટેલાં જોવા મળ્યા હતા, અને ભારે તંગ વાતાવરણ હતું. જેની વચ્ચે આ મેગા ડિમોલેશન ચાલુ રખાયું છે.