વડોદરામાં રોડ શો બાદ PM મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનોને આપી લીલી ઝંડી

PM Modi Road Show in Vadodara : ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી.
દાહોદમાં 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું
દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે. આ ઉપરાંત આણંદ – ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂા. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂ. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કર્નલ સોફિયા કુરેશીના અને સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવાર સિંદુર સન્માન યાત્રામાં જોડાયા
વડોદરામાં પીએમ મોદીનું સ્વાગત–સન્માન કરવા માટે યોજાયેલી સિંદુર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો જોડાયા હતા. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા.
શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નિરવ સોનીના પરિવાજનો સિંદુર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા. આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.
આ ઉપરાંત પીએમ મોદી આજે દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યારબાદ સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ગુજરાતમાં વિકાસકાર્યોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત
આ ઉપરાંત ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માાણ, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.
પાણી યોજના થકી 193 ગામોને ફાયદો થશે
દાહોદમાં નરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના વિકાસ કામો જનસમર્પિત કરશે. વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માગીય બનાવવા, કાયાવરોહણ-સાપલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂ. 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.
અમદાવાદમાં સિવિલ પરિસરમાં આઈપીડીનું ખાતમુહૂર્ત
27મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદમાં રૂા. 1000 કરોડના ખર્ચે નિર્માણ થનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં યુ. એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ઓપીડીસાથે 18000 બેડ ધરાવતા આઈપીડી જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઇ રહ્યું છે, જેનું પણ સિવિલ પરિસરમાં વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે.
વંદેભારત સહિતની બે ટ્રેનોને પીએમ લીલી ઝંડી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે 26મીએ દાહોદથી વિવિધ રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે ત્યારે સાબરમતી-બોટાદ ટ્રેન અને અમદાવાદ (સાબરમતી) સોમનાથ (વેરાવળ) વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. જે સાથે આ નવી બંને ટ્રેનો ગુજરાતમાં શરૂ થશે. 8 કોચની વંદેભારત ટ્રેન 27મેથી શરૂ થશે.