સૌરાષ્ટ્ર કે કચ્છથી મુંબઈ જતાં મુસાફરો માટે ગુડ ન્યૂઝ, બે સુપરફાસ્ટ તેજસ ટ્રેનો શરૂ, જાણો રૂટ અને સમય

Western Railway: હાલ ગુજરાત સહિત દેશભરમાં લોકો ઉનાળા વેકેશનમાં ફરવા જવાનું નક્કી કરે છે. એવમાં પશ્ચિમ રેલવે દ્વારા આગામી 30 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. આ બંને ટ્રેન તેના રૂટ દરમિયાન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સહિતના સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે.
રાજકોટ ગાંધીધામ વચ્ચે દોડશે બે સુપરફાસ્ટ તેજસ
ઉનાળા દરમિયાન મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે બે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. જેમાં આગામી જૂન મહિનાથી દર મંગળવારે સાંજના 18.55 કલાકે ગાંધીધામથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી 30 જૂન સુધીમાં 10 ફેરાઓ મારશે.
રેલવે વિભાગે જણાવ્યું કે, આગામી 30 મેથી દર ગુરૂવાર અને શનિવારે સાંજના 18:30 કલાકે રાજકોટથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી 28 જૂન સુધીમાં કુલ 18 ફેરાઓ મારશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે.