ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા

India-USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર (India-US Trade Deal) મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ ટૂંકસમયમાં પૂરી થવાનો આશાવાદ છે. જેમાં ભારત અમેરિકા પર ટેરિફનો બોજો દૂર કરશે તેવી અટકળો વહેતી થઈ છે. જેના પર સ્પષ્ટતા આપતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, આપણે સૌએ હાલ રાહ જોવી જોઈએ. અંતે શું નિર્ણય લેવાય તે નક્કી નથી. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  ટેરિફ ડીલ 9 જુલાઈ પહેલાં પૂરી થાય તેવો અંદાજ છે. જુલાઈ સુધી માત્ર ટેરિફ મુદ્દે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકશે. જુલાઈ બાદ દ્વિપક્ષીય વેપાર મુદ્દે ચર્ચા થશે. 

જયશંકરે આપી સ્પષ્ટતા

જયશંકરે ઝીરો ટેરિફની અટકળો પર સ્પષ્ટતા આપી કે, આપણે સૌ જાણીએ છીએ કે, હાલ બંને દેશો વચ્ચે વેપાર મંત્રણા ચાલી રહી છે. આપણે સૌએ રાહ જોવી પડશે. અંતે શું નિર્ણય લેવાય તેની જાહેરાત હાલ કરી શકાય નહી. ચાલુ ચર્ચાઓમાં અમે કોઈ નિશ્ચિત નિવેદન આપી શકીએ નહીં.

ટેરિફમાં 90 દિવસની મળી છે મુક્તિ

અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં તેમાં 90 દિવસની મુક્તિ આપી હતી. જે 9 જુલાઈના રોજ પૂરી થશે. અમેરિકા અને ભારત બંને દેશો ઈચ્છે છે કે, ટેરિફ મુદ્દે સમાધાન થાય. જેમાં અમેરિકા ભારત પાસે ઝીરો ટેરિફની અપેક્ષા સેવી રહ્યું છે. 

ટ્રમ્પે કર્યો હવો ઝીરો ટેરિફનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકા માટે ઝીરો ટેરિફ ઓફર રજૂ કરી છે. ટ્રમ્પે આ પગલાંને ઐતિહાસિક વ્યાપારિક જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે, ટેરિફનો બોજો દ્વિપક્ષીય વેપારને અસંભવ બનાવે છે. અમેરિકા માટે ભારત ટેરિફમાં 100 ટકા ઘટાડો કરવા તૈયાર છે. હાલ કોઈ ઉતાવળો નિર્ણય નહીં લઈએ. પણ આ ડીલ ટૂંકસમયમાં પૂરી થશે.

પારસ્પારિક લાભ પર ચર્ચા

જયશંકરે આગળ કહ્યું કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર મંત્રણામાં પારસ્પારિક લાભ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને પક્ષોને અનુકૂળ અને સુલભ હોય તેવા નિર્ણયો લેવાઈ શકે છે. કોઈ ઉતાવળ કરીશું નહીં. ધીરજ રાખો. હાલ વાતચીત ચાલી રહી છે. જે પણ નિર્ણય લઈશું, તેમાં પારસ્પારિક લાભ અવશ્ય ચકાસીશું.